“
...મંજરીએ પીરસવા માંડયું, અને રુદ્રદત્ત અને મણીભદ્રે આરોગવા માંડયું.
માનિનીની મોહિની સામાન્ય રીતે ન્યારી જ હોય છે, તે રીઝવે ત્યારે દુર્જય થઈ પડે છે,પણ તે હાથે પીરસી જમાડે ત્યારે પૂછવું શું? મણિભદ્ર અડધો બેભાન થઈ ગયો, મંજરીના આગ્રહ આગળ મિષ્ટાન્નની માજા પણ તે વિસરી ગયો, નવયૌવનમાં મહાલી રહેલી મંજરીના હાવભાવ આગળ પેટમાં જગા છે કે નહીં તેનું ભાન પણ ભૂલી ગયો. બ્રાહ્મણવર્ય મણીભદ્રે સાધેલા જીવનયોગમાં એક પરમ ધ્યેય હતું — સ્વાદિષ્ટ મોદક. અત્યારે તે યોગેશ્વર યોગભ્રષ્ટ થયો — ભાણામાં લાડુ હતા છતાં મંજરી સામે જોઈ રહેવા લાગ્યો.
મંજરીને પણ આ વખતે તેની ખીલતી જુવાનીમાં રહેલા પ્રબળ જાદુનું ભાન થયું, અને પોતાની અપ્રતીમ શક્તિનું જ્ઞાન પામેલા મહારથીના મદથી તે પોતાના પ્રભાવની અજમાયશ કરી રહી. તેણે રુદ્રદત્તની સહાયથી મણિભદ્રને મોહાંધ કર્યો. મણિભદ્ર બિચારો લટ્ટુ થઈ રહ્યો.
”
”